વિધાનસભામાં જનવિશ્વાસ બિલ થશે રજૂ: નાના ગુનાઓને અપરાધમુક્ત કરાશે! જેલની સજાના બદલે નાણાકીય દંડની જોગવાઈ

By: nationgujarat
09 Sep, 2025
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રના બીજા દિવસે આજે બે મહત્વપૂર્ણ બિલો ગૃહમાં રજૂ કરવામાં આવશે. તેમાં ગુજરાત જન વિશ્વાસ (જોગવાઈઓનો સુધારો) બિલ, 2025 અને ગુજરાત માલ અને સેવા કર (બીજો સુધારો) બિલ, 2025નો સમાવેશ થાય છે. આ બંને બિલ પર શાસક પક્ષ અને વિપક્ષના ધારાસભ્યો દ્વારા ચર્ચા અને મંતવ્યો રજૂ કરવામાં આવશે.
જનવિશ્વાસ બિલનો મુખ્ય ઉદ્દેશ્ય નાના ગુનાઓને અપરાધમુક્ત કરી જેલની સજાની જોગવાઈઓને નાણાકીય દંડમાં ફેરવવાનો છે. આ પગલાથી નાગરિકો તથા ઉદ્યોગો ઉપરના કાનૂની ભારણમાં રાહત મળશે અને કોર્ટોમાં કેસોના ઢગલા ઓછા થશે.
આ બિલ હેઠળ કુલ 11 કાયદાઓમાં સુધારો કરાશે. જેમાં ગુજરાત ઔદ્યોગિક વિકાસ કાયદો, શ્રમ કલ્યાણ ભંડોળ કાયદો, નગરપાલિકા કાયદો, એપીએમસી કાયદો સહિતના મહત્વના કાયદાઓનો સમાવેશ થાય છે. આ કાયદાઓમાં નક્કી કરાયેલા અંદાજે 500 જેટલા નાના ગુનાઓ માટે હાલની જેલની સજાની જોગવાઈ દૂર કરીને દંડની જોગવાઈ લાવવામાં આવશે.

સરકારના જણાવ્યા મુજબ, હવે અનધિકૃત બાંધકામ, જાહેર જગ્યા પર દબાણ કરવું, ટેક્સ ચૂકવણીમાં ડિફોલ્ટ, કચરો નિકાલ ન કરવો જેવા ગુનાઓ માટે જેલની સજા નહીં થાય, પરંતુ દંડ વસૂલાશે. આ સાથે મ્યુનિસિપલ પરવાનગી વિના ગટરનું પાણી છોડવું, ડેરી ઉત્પાદનો લાઇસન્સ વિના વેચાણ, મ્યુનિસિપલ આદેશોનું ઉલ્લંઘન જેવા નાના ગુનાઓનો પણ સમાવેશ કરાયો છે.
બિલમાં ખાસ કરીને કેટલાક સામાજિક મુદ્દાઓને લગતા ગુનાઓનો પણ ઉલ્લેખ છે. જેમ કે યાત્રાળુઓને ગેરકાયદેસર બિલ્ડિંગમાં રાખવા, શેરીઓના નામ બદલવા, અધિકૃત કર્મચારીઓને પરિસરમાં પ્રવેશતા અટકાવવું વગેરે ગુનાઓ માટે હવે જેલની સજાની જગ્યાએ દંડનો પ્રાવધાન રહેશે. એટલું જ નહીં, વેશ્યાવૃત્તિના હેતુસર ફરવા બદલ થતી જેલની સજાને પણ હવે દંડમાં પરિવર્તિત કરવામાં આવશે.
આનાથી સામાન્ય નાગરિકોને કાનૂની જાળમાં સપડાવાનું જોખમ ઓછું થશે તેમજ સરકાર અને નાગરિકો વચ્ચેની વિવાદિત સ્થિતિમાં ઘટાડો થશે. રાજ્ય સરકારનો દાવો છે કે આ સુધારા માત્ર કાનૂની પ્રક્રિયા સરળ બનાવશે જ નહીં, પરંતુ ન્યાયાલય પરનો ભાર પણ ઘટાડી શકશે.
ગૃહમાં રજૂ થયેલા દસ્તાવેજો મુજબ, આ સુધારાઓથી જુના કડક નિયમો હળવા થશે અને વધુ વ્યવહારુ દૃષ્ટિકોણ અપનાવવામાં આવશે. આ સુધારાઓનો અસરક્ષેત્ર ગુજરાત મ્યુનિસિપાલિટીઝ એક્ટ, ગુજરાત ટાઉન પ્લાનિંગ અને અર્બન ડેવલપમેન્ટ એક્ટ, ગુજરાત એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટિંગ એક્ટ સહિતના મહત્વના કાયદાઓ સુધી પહોંચશે.

Related Posts

Load more